આંખ અને સ્ત્રી રોગ માટે સંજીવની સમાન છે આ ઔષધિ, વગર દવાએ મળશે આ રોગોમાં છુટકારો, જરૂર જાણી લ્યો વાપરવાની રીત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સૂત્રસ્થાનનો ર૫મા અધ્યાયમાં મર્હિષ આત્રેયે ‘સર્વશ્રેષ્ઠ’નો સંગ્રહ કર્યો છે. તેમાં સર્વશ્રેષ્ઠમાં મર્હિષ આત્રેયે તમામ-શાકોમાં ‘જીવંતી’ને સર્વશ્રેષ્ઠ શાક કહી છે. આ જીવંતી એટલે ડોડી અથવા દોડી જેને સૌરાષ્ટ્રમાં ‘ખરખોડી’ પણ કહે છે. જીવંતીએ ડોડીનું એક સંસ્કૃત નામ છે.

આ સિવાય ડોડીને આયુર્વેદમાં સંસ્કૃતમાં શાકશ્રેષ્ઠ, જીવનીયા, જીવની, જીવર્વિધની વગેરે નામોથી પણ ઓળખાવી છે. આ ડોડી બારેમાસ થાય છે. પરંતુ ભાદરવો અને આસોમાં તેનાં પર્ણો પરિપુષ્ટ હોય છે, અને તે પિત્ત અને વાયુનું શમન કરતી હોવાથી આ ઋતુમાં તેનું શાક આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ હિતાવહ છે.

આયુર્વેદનું આ ઉત્તમ શાક ગામડાંઓમાં સર્વત્ર સુલભ છે. ગામના ખેતરોના શેઢે કે વાડે ઊગી નીકળતી આ જીવંતી ની ભાજી-દોડી કે ડોડી અમદાવાદનાં માણેકચોકમાં વેચાતી હોવાનું જાણમાં આવ્યું છે. તેના શ્વેત ફૂલોનું શાક પણ ખૂબ સ્વાદિષ્ટ થાય છે. ડોડીની ભાજી, ફૂલોનું શાક અને તેના લાંબા મરચાં જેવા ગ્રીનફળો-ખરખોડાનું શાક ખૂબ જ ટેસ્ટી થાય છે.

ડોડીના આ ફળને કે પાંદડાને તોડવાથી તેમાંથી તરત જ સફેદ દૂધ જેવું ક્ષીર નીકળે છે. ડોડીનું આ શાક ભાજી, ફૂલ કે ખરખોડા-ફળને પાણી નાંખ્યા વગર શુદ્ધ ઘી માં જ શેકીને ખાવું જોઈએ. આ ડોડી કડવી અને મીઠી એમ બે જાતની થાય છે. શાકમાં મીઠી ડોડીનો ઉપયોગ કરવો.

કડવી ડોડીનાં મૂળનું ચૂર્ણ બનાવી વૈદ્યો બાળકોની સસણીમાં વાપરે છે. પણ શાકમાં તો મીઠી ડોડીનાં જ પાન, ફૂલ અને ફળો વાપરવા માં આવે છે. તેનાં તાજા પર્ણો અને ફળો કાચેકાચા ચાવીને ખાવાથી ખૂબ સારા સ્વાદિષ્ટ લાગે છે.

જીવંતી-ડોડીને આયુર્વેદમાં શીતળ, આંખોને માટે ખૂબ હિતાવહ, બલ્ય અથવા બળપ્રદ મૈથુન શક્તિ વધારનાર, વીર્ય વર્ધક, રસાયન એટલે જીવન શક્તિ વધારનાર તથા વાયુ, પિત્ત અને કફ આ ત્રણે દોષોને શાંત કરનાર કહેવાય છે.
રતાંધળાપણામાં અને જેમને આંખોનું તેજ ઓછું હોય તેમણે ડોડીનાં પાન ઘી માં શેકીને ખાવા જોઈએ.

કાચા ફળો પણ ટેસ્ટી હોવાથી ખાઈ શકાય.આ ડોડીનાં ફળને તોડવાથી તેમાંથી દૂધનો સ્ત્રાવ થાય છે. એટલે તેને ‘પયસ્વિનિ’ એવું નામ આપવામાં આવ્યું છે.આવા અનેક ગુણો ધરાવતી ડોડીનો એક મહાન ગુણ કે કર્મ છે, કોઠાનો ‘રતવા’ મટાડવાનો. રતવા શબ્દમાં ‘રક્ત’ અને ‘વા’ અથવા ‘વાયુ’ એ બે શબ્દો છે.

રક્તનો અર્થ થાય લોહી અથવા આર્તવ અથવા માસિક વખતે પ્રવૃત્ત થતું લોહી. આ આર્તવમાં ‘પિત્ત’ દોષ રહેલો છે. એટલે કે જ્યારે પિત્તદોષ અને વાયુ દોષવાળું આર્તવ ગર્ભાશયમાં રહેલું હોય છે. ત્યારે તેને ‘રતવા’ થયો છે એમ કહેવામાં આવે છે.

રતવાવાળી સ્ત્રીઓને બાળક થતું નથી અને થાય તો ટકતું નથી. એટલે કે કસુવાવડ થઈ જાય છે. આવી સ્ત્રીઓને માટે ડોડી વરદાન સમાન છે. બાળક થતું ન હોય, ગર્ભ રહે તો ટકતો ન હોય ત્રીજે, ચોથે, પાંચમે કે સાતમે મહિને એબોર્શન થઈ જતું હોય, એવા અનેક કેસોમાં ડોડી નો ઉપયોગ કરવો જોઈએ.

ડોડીને મીઠી ખરખોડી પણ કહે છે. ડોડીની જંગલમાં થનારી એક કડવી જાત પણ હોય છે. ડોડીના ફળને ડોડાં (સુડિયાં) કહે છે. ડોડાં બે થી ત્રણ ઈંચ લાંબાં, અર્ધો-પોણો ઈંચ જાડા, લીલા રંગનાં અને આકડાના ફળ સમાન હોય છે. ડોડાને તોડવાથી પીળા રંગનો દૂધ જેવો રસ નીકળે છે.

શિયાળામાં ડોડીના વેલા પર ડોડાં બેસે છે. કૂણાં ડોડાંનું શાક અને કઢી થાય છે. કૂમળાં ડોડાનું શાક તેલ અને મરચાના વઘારથી ખૂબ સ્વાદિષ્ટ બને છે. બજારમાં ડોડાં ભાગ્યે જ વેચાતાં મળે છે. એટલે મુખ્યત્વે ગામડાંના લોકો જ તેનું શાક ખાય છે.

શહેરમાં વસતા લોકોએ-શહેરી પ્રજાએ પણ ડોડીના શાકનો લાભ લેવા જેવો છે. ડોડીના કૂંણાં પાનની દહીં કે છાશ મેળવીને ભાજી પણ બનાવાય છે અને તે ખૂબ સ્વાદિષ્ટ બને છે. ઉનાળામાં ડોડીના પાનની ભાજી ખાસ ખાવા જેવી છે. ડોડીના પાનની ભાજી ખાવાથી આંખોનું તેજ વધે છે. ડોડીના મૂળનો પણ ઔષધ તરીકે ઉપયોગ થાય છે. ક્વાથ માટે તેના મૂળની એક બે તોલા સુધીની અને ચૂર્ણ માટે ત્રણથી છ તોલા સુધીની માત્રા છે.

આધુનિક વૈદકના મત પ્રમાણે ડોડી સ્નેહન, શીતલ, મૂત્રજનન અને શોથહર છે. ડોડીનાં મૂળનો અર્ક એક શેર, ડોડીનાં મૂળ તથા શતાવરીનો ક્વાથ સોળ શેર અને ગાયનું ઘી ચાર શેર, એકત્ર કરી મિશ્રણ બનવવુંય. એ ઘી માંથી એક તોલો સવાર-સાંજ ખાવાથી ક્ષય, ઉરઃક્ષત, દાહ, વંધ્યત્વ, દ્દષ્ટિની મંદતા અને રક્તપાત્ત મટે છે.

ડોડીનાં કૂણાં પાન બાફી તેનો રસ કાઢી પીવાથી અગ્નિદીપન થાય છે, તેમ જ રસાયન જેવો ગુણ આપે છે અને નેત્રને ઠંડક પણ આપે છે. ડોડીનાં પાનની ભાજીનું સેવન કરવાથી રાત્રે ન દેખાતું હોય તે રતાંધળાપણું અટે છે. અર્શવાળાને પણ તેની ભાજી પથ્ય છે.

ડોડીના મૂળનો ઉકાળો, દોઢ માસા જીરાનું ચૂર્ણ મેળવી ત્રણ દિવસ સવારે પીવાથી પેશાબ વખતે થતી બળતરા ઓછી થાય છે, એકઠું થયેલું પરુ નીકળી જાય છે, તેમ જ મૂત્રનલિકાની બળતરા મટે છે, તે સ્ત્રીઓના કોઠાની ગરમી દૂર કરે છે.

ડોડી સ્વાદ માં મીઠી, ગુણ માં ઠંડી, પચવામાં પણ મીઠી ને વાયુ, પિત્ત અને કફ એમ ત્રણેયદોષનું શમન કરનાર ડોડી છે. તે ધાવણ વધારે, ગર્ભ નું સ્થાપન કરે, પુરુષ અને સ્ત્રી નું વાંઝીયા પણું દૂર કરે, આંખ નું તેજ વધારે છે જીવંતી. તે ઝાડા મટાડે પરંતુ કબજિયાત કરતી નથી. વિટામીન એ થી ભરપૂર છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top