ભારતમાં કરંજ બધી જ જગ્યાએ જોવા મળે છે. આ વૃક્ષ દેખાવમાં સાધારણ હોય છે. પરંતુ તે અનેક ઔષધિય ગુણ ધરાવે છે. કરંજ મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે. વૃક્ષ કરંજ, પુટી કરંજ, લતા કરંજ. આ બધી જ કરંજમાંથી પ્રાપ્ત તેલ ચામડીના રોગો માટે ફાયદાકારક છે.
કરંજના બીજમાંથી જે તેલ નીકળે છે જેને કરંજીયું તેલ કહે છે. આ તેલ ચોપડવાથી ચામડીના ઘણા બધાં રોગો મટે છે. તેનો ઉપયોગ ચામડીના રોગોમાં ચોપડવામાં વિશેષ પ્રમાણમાં થાય છે. ઔષધી તરીકે કરંજના બી, તેલ, છાલ અને પાનનો ઉપયોગ થાય છે. તો ચાલો સૌપ્રથમ આપણે જાણીએ કરંજનું તેલ બનાવવાની રીત વિશે.
કરંજનું તેલ બનાવવાની સામગ્રી : કરંજના બી- 1 મોટી ચમચી, નારિયેળનું તેલ- 200 મિલી, કસ્ટર ઓઈલ- 50 મિલી, મેથી દાણા- 1 મોટી ચમચી.
તેલ બનાવવાની રીત : કરંજના બી અને મેથી દાણાને પીસી પાઉડર બનાવી લો. હવે આ પાઉડરને કાંચની બોટલમાં નાખી દો. તેમાં નારિયેળનું તેલ અને કસ્ટર ઓયલને સારી રીતે મિક્સ કરો. હવે બોટલને બંધ કરો અને તેને તડકામાં સૂકવી દો. હવે તેને 2 થી 3 અઠવાડિયા સુધી દરરોજ તડકામાં સૂકવો. દર 2 થી 3 દિવસમાં તેલને હલાવતા રહો અને 2-3 અઠવાડિયા બાદ તેને સારી રીતે ગાળી લો.
વાળ માટે કરંજનું તેલ ખૂબ જ ફાયદાકારક માનવમાં આવે છે. વાળના ગ્રોથ માટે કરંજનું તેલ રામબાણ ઉપાય સાબિત થઈ શકે છે. જો તમે દરરોજ વાળમાં કરંજના તેલની માલિશ કરો છો તો તમને કમાલના ફાયદા મળી શકે છે. જેનાથી ન માત્ર વાળને વધારવામાં મદદ મળે છે, પરંતુ ખરતા વાળથી પણ છુટકારો મળી શકે છે.
કરંજનું તેલ લીંબુના રસમાં મેળવીને ખુબ જ હલાવી, એકરસ કરીને ચોપડવાથી ધાધર મટે છે. કરંજનું તેલ, લીંબુનો રસ અને કપૂર મિક્સ કરીને ચોપડવાથી પણ ધાધર મટે છે. કરંજનું તેલ ચોપડવાથી કરોળિયા અને શ્વિત કોઢ મટે છે.
કરંજનું તેલ, ગંધક, કપૂર અને લીંબુનો રસ સરખે ભાગે એકત્ર કરીને ચોપડવાથી ભયંકર ફેલાયેલી ખસ ટૂંક સમયમાં મટે છે. કરંજનું તેલ, લીંબુનો રસ અને કપૂર એકત્ર કરીને ચોપડવાથી ખસ મટે છે.કરંજના બી પાણી સાથે ગરમ કરીને લેપ લગાડવાથી વા ના કારણે વૃષ્ણ કોથળીમાં થયેલી શુક્ર કોષની વૃદ્ધિ અટકે છે. કરંજના મૂળ ચોખાના ધોવરાવણમાં કે ચોખાના ઓસામણમાં ઘસીને લેપ કરવાથી શુક્રપિંડની સાઈઝમાં ઘટાડો થાય છે.
કરંજની છાલ પાણીમાં વાટી, ગરમ કરીને લેપ કરવાથી સંધિવા મટે છે. કરંજના મૂળની છાલ છૂંદીને સંધિવાના સોજા પર લેપ કરવાથી સંધિવાનો દુખાવો મટી જાય છે. કરંજના પાન પાણીમાં ઉકાળીને સ્નાન કરવાથી સંધીવાને કારણે ઝલાઈ ગયેલા સાંધા છુટા પડી જાય છે. કરંજના પાનને તેલ ચોપડીને બાંધવાથી પણ સંધિવાથી ઝલાઈ ગયેલા સાંધામાં ફાયદો થાય છે.
માથામાં ખોડો થયો હોય તો અરીઠા કે અરીઠાના કુમળા પાન વાટી તેનાથી માથું ધોવું. ત્યારબાદ કરંજનું તેલ, કડવી કોઠીના બીનું ચૂર્ણ અને લીંબુનો રસ એકત્ર કરીને માથાના ખોડા પર ચોપડવાથી માથા પરનો ખોડો મટે છે. કરંજના મૂળની છાલનો રસ નાસૂર અને ભગંદર પર રેડવાથી જલ્દી રૂઝ વળે છે. કરંજના પાન અથવા છાલ પાણી સાથે વાટીને પીવાથી અર્શ મટે છે. તેના કુમળા પાન વાટીને લોહી સાથે નીકળતા દુઝતા મસા મટે છે.
કપડામાં કરંજના ફૂલની પોટલી બાંધી, એ પોટલી આંખે લગાડવાથી આંખનો સોજો મટે છે. કરંજનું બી ઘસીને આંખમાં આંજવાથી ફૂલું મટે છે. કરંજના બીજના ચૂર્ણને ખાખરાના ફૂલના રસના પુટ આપી, બારીક ખરલ કરી, પાતળી સોગઠી બનાવી, પાણીમાં ઘસી, તેને આંખમાં આંજવાથી પણ ફૂલું મટે છે.
કરંજના મૂળના રસમાં કે તેની છાલના ઉકાળામાં નારીયેળનું પાણી અથવા ચૂનાનું નીતર્યું પાણી મેળવીને સવાર અને સાંજે પીવાથી પરમિયામાં થતી પેશાબની બળતરા શાંત થાય છે, મૂત્રનલિકામાં આવેલો સોજો મટે છે અને પરું નીકળી જાય છે.
કરંજના પાનના રસમાં દહી, ચિત્રક મૂળ, મરી અને સિંધવમીઠું મેળવીને સવારે અને સાંજે ત્રણથી ચાર માસ સુધી પીવાથી કોઢ મટે છે. કરંજના પાન અને ચિત્રકના પાન વાટીને તેમાં દહી તથા મીઠું મેળવીને ખાવાથી ગળત કોઢ મટે છે. કરંજના પાન, ચિત્રકના પાનને મરી સાથે વાટીને દહી સાથે ખાવાથી પણ ગળત કોઢનો રોગ મટે છે.
1થી ૩ ગ્રામ કરંજના બીજના ચૂર્ણમાં મધ તથા ઘી ભેળવી દો. તેનું સેવન કરવાથી નાક-કાન વગેરે જગ્યાએથી લોહી નીકળવાની સમસ્યા ઠીક થાય છે. સિંધવ મીઠા યુક્ત કરંજના બીજના ચૂર્ણમાં દહીનું પાણી ભેળવી દો. સિંધવ મીઠાયુક્ત કરંજના બીજના ચૂર્ણ 1 થી ૩ ગ્રામ દહીંનું પાણી ભેળવી દો. તેને ગરમ કરીને ત્રણ દિવસ સુધી પીવાથી નાક-કાન વગેરે જગ્યાએથી લોહી નીકળવાની સમસ્યા દુર થાય છે.
કરંજના ફળનો ગર્ભ 1 થી 2 ગ્રામ શેકી લો. તેમાં સિંધવ મીઠું ભેળવીને તેનું સેવન કરવાથી પેટના દર્દથી આરામ મળે છે. કરંજના બીજોની છાલો ઉતારીને સાફ કરી લીધા બાદ તેમાં થોરના પાંદડાનું દૂધ નાખો. આ પછી તેને તડકામાં સુકાવીને તેલ કાઢી લો. તેનો પ્રયોગ કરવાથી પેટના ફોડા નાશ પામે છે. કરંજના બીજ, સુંઠ તથા ઘોડાવજને કરંજના ઉકાળામાં વાટીને લગાવાવથી પેટના ફોડાઓ મટે છે.
આ સિવાય કરંજના ઉપયોગ કરવાથી માથાની ટાલ, દાંતની બીમારી, ખાંસીનો ઈલાજ, ઉલ્ટી, ભૂખમાં વધારો, બરોળ વધવી, ઝાડા, મૂત્ર રોગ, સીફ્લીશ, ગઠીયો, લકવો, સોરાયસીસ, વિર્સપ રોગ, ફોડલાઓ, ઘાવ સુકાવવા, સાઈનસ, મસ, ચામડીનો વિકાર, ચહેરાનો નિખાર, તાવ, વીંછીનું ઝેર વગેરેમાં પણ ખુબ જ ઉપયોગી થાય છે.
કરંજ ખુબ જ ઉત્તમ ઔષધી છે, તે ચામડીના ભયંકર રોગો સહીત ઘણા રોગોમા ખુબ જ ઉપયોગી ઔષધી છે. આ ઔષધી તરીકે ઉપયોગમાં લેવાતું હોવાથી શરીરમાં કોઈ આડઅસર કરતું નથી.